
છોટા ઉદેપુરનું એક એવું ગામ કે જે ગામમાં વર્ષોથી આજ દિન (Unique wedding in Chhota Udepur)સુધી વરરાજા જાન લઈને પરણવવા ગયા નથી. કે કોઈ વરરાજા જાન લઈને આ ગામમાં પરણવવા આવ્યા નથી. ભારતીય સંસ્કૃતિ ના રિવાજ મુજબ લગ્ન સંસ્કારમાં વરરાજા એક દિવસનો રાજા ગણાય છે અને તે જાન લઈને ઠાઠ માઠથી ઘોડે સવાર થઈને જાન લઈને કન્યાના ઘરે પરણવવા જાય છે. પરંતું છોટા ઉદેપુર જિલ્લાના મધ્ય પ્રદેશ સરહદે આવેલ અંબાલા ગામના યુવાનોના નસીબમાં જાન લઈને પરણવવા જવાનું નહીં હોય એમ વર્ષોના રીત રિવાજ મુજબ પરણવા જાન લઈને જતા નથી, પરંતુ વરરાજાની કુંવારી બહેન જાન લઈને જવાની પરંપરા રહી છે.
અંબાલા ગામના પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રાજુ રાઠવા અને હિતશ રાઠવા જેઓના એક માંડવે લગ્ન યોજાયા હતાં. ત્યારે ગામની પરંપરા મુજબ બન્ને ભાઈઓની અલગ અલગ દિવસે વરરાજાઓની બહેનોએ વરરાજનો તમામ રોલ અદા કરી શણગાર સજીને જાન લઇને અંબાલાથી મધ્ય પ્રદેશના કાછલાં તેમજ લખાવાંટ ગામે પહોંચી હતી. અને ગામની અનોખી પરંપરાનું પાલન કરવા બંને વરરાજા જાન જવાના દિવસે ઘરે કુળદેવી સામે બેસીને રહેવું પડયું હતું.
વરરાજાની બહેન વરરાજાની જેમ શણગાર સજીને વરના ઘરેથી જાન લઇને કન્યાના ઘરે પહોંચે છે. જયાં જાનૈયાને કન્યાના મંડપ થી દૂર ઝાડ નીચે પડાવ આપવામાં આવે છે. વર અને કન્યા પક્ષના પંચો દ્વારા રીતના પૈસા વર પક્ષ તરફથી કન્યા પક્ષને ચુકવવામાં આવ્યા બાદ કન્યા પક્ષના લોકો જાનને ઢોલ માદલ સાથે નાચતાં નાચતાં લેવા આવે છે. જયાં વરરાજાની બહેનને પીઠી ચોળી રીતરિવાજ મુજબ વીધી કરી જાનને મંડપમાં તેડી લઇ જવામાં આવે છે. વર પક્ષ તરફથી ઘરેણાં કપડાં કન્યાને ઘરમાં જઈને આપવામાં આવ્યા બાદ કન્યાને ઘરેણાં કપડાં પહેરાવવામાં આવે છે.
કન્યાના મંડપમાં બે વર પક્ષની અને બે મહિલા કન્યા પક્ષની મળી ચાર મહિલાઓ દ્વારા મંડપમાં નિપણ કરી ચોખાની બે ચોરી ચીતરવામાં આવે છે. જેમાંની એક ચોરી ઉપર બે પાટલા મુકવામાં આવે છે, જે એક પાટલા ઉપર વરરાજ ની બહેન બેસે છે જયારે કન્યાને ઘરમાંથી ભાભી દ્વારા ઉંચકીને લાવીને પાટલા ઉપર બેસાડી પાંચ વખત ઉભા કરી ઘરમાંથી મંડપમાં અને મંડપ માંથી ઘરમાં બેસાડેલ કુળદેવીને પગે પાડવાની વીધી કરી બીજી ચોરીએ કન્યા અને વરરાજાની બહેનને પાંચ વાર પૂર્વ થી પશ્ચિમ દિશામાં ચોરીને ચોખા વધાવતાં વધાવતાં મંગલ ફેરા ફેરવવામાં આવે છે, પાંચ વાર ફરીથી પશ્ચિમથી પૂર્વ દિશામાં ચોખા વધાવી મંગલ ફેરા ફેરવી નણંદ ભાભીને ઉલટી દિશામાં ગુમાવી નણંદ ભાભીના મંગલ ફેરાની વિધિ સંપન્ન કરવામાં આવતી હોય છે.
કન્યાના ઘરે નણંદ ભાભીના મંગલ ફેરા ફર્યા બાદ નવ વધું ઘરના પ્રવેશ દ્વારે બહેનો દરવાજો રોકીને ઉભી હોય છે. નવવધૂ દાપુ ચૂકવે તો જ બહેનો ઘરમાં પ્રવેશ આપતી હોય છે. ત્યાર બાદ નવવધુ અને વરરાજાને કુળદેવી સામે ખાખરના પાનમાં ભાત, ઘી ગોળ નાખીને પાંચ વખત પાન બદલવામાં આવે છે, અને ફરીથી આંગણામાં ચોખાની ચોરી ચીતરવામાં આવે છે જે ચોરી ઉપર પાટલા મૂકી ફરીથી નવવધુને પાંચ વખત ભાભી ઉંચકીને ઘરમાં અને ઘરની બહાર લાવવામાં આવે છે, અને ત્યાર બાદ વર વધુને મંગલ ફેરા ફેરવી ઘોડે રમાડવાની વિધિ કરી પૂર્વજોને બાફેલા અડદ ધરવાની વિધિ કરવામાં આવે છે. આ બધી વિધિ અહીં સંપન થયાં બાદ વરરાજાની બહેન ભાભીને ભાઈને સોપીને વરરાજા તરીકેનો નિભાવેલા રોલમાંથી મુક્તિ મેળવે છે.
આ રીત રિવાજ વિશે ગામના આગેવાનો સાથે વાત કરતાં વડીલો જણાવ્યું હતું કે અંબાલા ગામના દેવ બાબા ભરમો દેવની લોક માન્યતા મુજબ ભરમો દેવ અન્ય દેવોના લગ્ન કરાવતા કરાવતા ખુદ પોતે જ કુંવારા રહી ગયેલા હોય જેથી કુંવારા દેવના માનમાં વર્ષો પહેલા ગામના લોકો નક્કી કર્યું હતું કે આપણા ગામનો દેવ ખુદ જ કુંવારા હોય જેથી ગામમાં કોઈ વરરાજા જાન લઈને આવે નહીં કે જાન લઈને જઇ શકે નહીં, પરંતુ વરરાજાની જગ્યાએ વરરાજાની બહેન નાની હોય કે મોટી હોય પણ કુંવારી હોય પોતાની બહેન નહીં હોય તો પરિવારની બહેન પાટીને માથે મૂકી જાન લઈને પાટી લગ્ન કરી શકે છે.જોકે છેલ્લા 30 વર્ષ પહેલાં સનાળા ગામમાંથી આ પરંપરા લુપ્ત થઈ છે. જયારે સુરખેડા ગામમાંથી પણ આ પરંપરા હવે લુપ્ત થઈ રહી છે પરંતુ અંબાલા એક એવું ગામ છે કે આ ગામમાં પ્રત્યેક કાર્યો જૂની પરંપરા અને રીત રિવાજો મુજબ અનુસરવામાં આવી રહ્યા છે.
ગામ લોકોનું કહેવું છે કે આજ દિન સુધીમાં એક જાન વરરાજા લઇને ગયા હતાં. પરંતુ તેનો સંસાર ચાલ્યો નહીં તેથી ગામ આ પરંપરાની નિરંતર નિભાવી પાટી લગ્ન દ્વારા જ લગ્ન કરાવામાં આવે છે. તો અંબાલા ગામના શિક્ષિત યુવાનો આ વર્ષો જૂની પરંપરાને નિભાવવાના રેકોર્ડ તૈયાર કરી ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં ગામનું નામ નોંધવવાની તૈયારીઓ પણ કરી રહ્યાં છે.